સુરત : ભાજપના નેતાઓ ઊંઘતા રહ્યા અને AAP ના નેતાઓ એ આ બ્રિજનું જનતા લોકાર્પણ કરી નાખ્યું !

સુરત : ભાજપના નેતાઓ ઊંઘતા રહ્યા અને AAP ના નેતાઓ એ આ બ્રિજનું જનતા લોકાર્પણ કરી નાખ્યું !

રાત્રી કરફ્યુ સમયે સર્જાતી હતી ભારે ટ્રાફિક સમસ્યા

બ્રિજ ખુલ્લો મુકાતા વાહન વ્યવહાર શરૂ થઈ ગયો

ભાજપના સત્તાધીશો મુહૂર્ત શોધતા રહયા !

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :   સુરતને ડાયમંડ નગરી ઉપરાંત બ્રિજ નગરી પણ કહેવામાં આવે છે કારણકે અહીં અનેક લાંબા બ્રિજનું નિર્માણ થયું છે. જેથી વધતી જતી વસ્તી અને ટ્રાફિકના પ્રમાણમાં સરળતાથી પરિવહન થઈ શકે. સુરત મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં કતારગામ વેડ દરવાજા થી જીલાની બ્રિજ સુધીનો ઓવરબ્રિજ તૈયાર કરાવવામાં આવ્યો છે. આ બ્રિજ તૈયાર થઈ ગયા પછીી તેના ઉદ્ઘાટનની રાહ જોવાઇ રહી હતી ત્યારે આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા અગાઉ જો સમયસર બ્રીજનું લોકાર્પણ નહીં થાય તો જનતા લોકાર્પણ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

જો કે દિનેશ કાછડીયા ની ચીમકી બાદ પણ હજુ લોકાર્પણની ભાજપના નેતાઓ રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે બપોરના સમયે આમ આદમી પાર્ટીના નગર સેવકો સહિત કાર્યકરોએ સાથે મળીને આ બ્રિજનું જનતા લોકાર્પણ કર્યું હતું અને બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર શરૂ કરાવી દીધો હતો. જોકે ભાજપના નેતાઓ ઊંઘતા રહ્યા અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ સાથે મળીને આ બ્રિજનું જનતા લોકાર્પણ કરી નાખતા હવે ભાજપના નેતાઓનું ઉદ્ઘાટન કરવાનું સ્વપ્ન જાણે રોળાઈ ગયું હોય એમ ચર્ચાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટીના નેતા દિનેશ કાછડીયા એ જનતા લોકાર્પણની આપી હતી ચીમકી

 આમ આદમી પાર્ટીના નેતા દિનેશભાઈ કાછડીયા અને અન્ય આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કતારગામ વેડ દરવાજા થી જીલાની બ્રિજ ને જોડતા ફ્લાયઓવર બ્રિજ ની સમય અગાઉ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ આ ઓવર બ્રિજ તૈયાર થઈ ગયો હતો. ત્યારે લોકોની સુવિધા માટે ઝડપથી આ ઓવર બ્રિજને ખુલ્લો મુકવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી. એટલું જ નહીં જો આગામી પંદર દિવસ મા આ બ્રીજને ખુલ્લો મુકવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટી દ્વારા નગરજનોને સાથે રાખીને તેનું જનતા લોકાર્પણ કરવામાં આવશે એવી તેમણે ચીમકી આપી હતી.