કારતક પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો

કારતક પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યો

Mnf network :દ્વારકા યાત્રાધામમાં  સોમવારે વિક્રમ સંવત 2080 ની પ્રથમ પૂર્ણિમા એટલે કે કારતક પૂનમનું સ્નાન તેમજ ઠાકોરજીના દર્શન કરવા હજારો ભાવિકો ઉમટયા હતા. ગઈકાલે વહેલી સવારથી જ ભક્તોએ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વાર તેમજ મોક્ષ દ્વારથી જગતમંદિર પ્રવેશી કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા.

પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર સવારથી જ હજારો ભાવિકો મંગલા દર્શને ઉમટયા હતા. 

 શૃંગાર આરતીએ ઠાકોરજીને ગુલાબી વાઘા અને દિવ્ય અલંકાર સાથેના વિશિષ્ટ શૃંગાર વારાદાર પ્રવિણભાઈ પુજારી પરિવાર દ્વારા કરાયા હતા જે દિવ્ય દર્શનનો લાભ હજારો ભાવિકોને પ્રાપ્ત થયો હતો. દ્વારકાધીશ જગતમંદિરમાં દેવદિવાળીની પરંપરાગત ઊજવણી કરાઈ દ્વારકાધીશ જગતમંદિરમાં ગઈકાલે કાર્તિક પૂર્ણિમા દેવતાઓની દિવાળી એટલે કે દેવ દિવાળી પર્વની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવી હતી. ગઈકાલે સવારે શૃંગાર આરતી સમયે ઠાકોરજીને વિશિષ્ટ પરિધાનો સાથેનો શૃંગાર કરવામાં આવ્યો હતો. 

બપોરે રાજભોગમાં ઠાકોરજીને વિશેષ અદકી ભોગ જેમાં કાજુ બદામનો મેસુબ, બાલુશાય, કાજુકત્રી, કટલેસ, કચોરી, ચવાણુ, વિગેરે ફરસાણ સાથેનો ભોગ ધરવામાં આવ્યો હતો. રાણીવાસમાં 11 હજાર દિપ પ્રજવલિત કરાયા દેવ દિવાળીના સાંજના સમયે જગતમંદિરના નિજ સભાખંડમાં તેમજ રાણીવાસના મંદિરોને 11 હજાર દિવડાઓની હારમાળા રચી, સુશોભિત કરવામાં આવ્યું હતું. આ સાથે રાણીવાસના લક્ષ્‍મીજી મંદિરના પટાંગણમાં વિશેષ રંગોળી પણ કરવામાં આવી હતી.