સુરત : ગોપાલ ઇટાલિયાની સભામાં થયો પથ્થરમારો : બાળકને આંખ પર થઇ ઇજા

સુરત : ગોપાલ ઇટાલિયાની સભામાં થયો પથ્થરમારો : બાળકને આંખ પર થઇ ઇજા

મોર્નિંગ ન્યુઝ ફોકસ સુરત : સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા કતારગામની લલિતા ચોકડી પાસે યોજાયેલી ગોપાલ ઇટાલીયા ની સભામાં પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે.ત્યારે આ ઘટનામાં પથ્થરમારાને કારણે એક બાળકને ઇજા થઈ છે જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કતારગામ ખાતે લલિતા ચોકડી પાસે યોજાયેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા ની જાહેર સભામાં પથ્થરમારો થયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં એક બાળકને માથા અને આંખના ભાગે ઇજાઓ થઈ હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના 9:30 વાગ્યા આસપાસની હોવાનું જાણવા મળે છે,જેમાં બાળકની ઉંમર આશરે 10 વર્ષની હતી.જોકે આ ઘટના પાછળ ભાજપના લોકોનો હાથ હોવાનો આક્ષેપ ગોપાલ ઇટાલીયા એ કર્યો છે.

અત્રે નોધનીય છે કે સુરતની કતારગામ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર વિનુભાઈ મોરડીયા ની સામે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલીયા ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારમાં યોજાઇ રહેલી આમ આદમી પાર્ટીની સભાઓમાં ભારે જનમેદની જોવા મળી રહી છે .જે રીતે સભામાં લોકોની ભીડ જોવા મળે છે તે જોતા એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીને જન સમર્થન જબરદસ્ત મળી રહ્યું છે.