ભાજપના બે કેબિનેટ મંત્રીઓની કામગીરીની સરખામણી કરતી વાયરલ ઓડિયો કલીપથી ખળભળાટ : આવા મંત્રીઓને શુ ધોઈ પીવાના ?

ભાજપના બે કેબિનેટ મંત્રીઓની કામગીરીની સરખામણી કરતી વાયરલ ઓડિયો કલીપથી ખળભળાટ : આવા મંત્રીઓને શુ ધોઈ પીવાના ?

ઓડિયમાં સવાલ, જો રાદડિયાને ઓક્સિજન, રેમડેસિવિર મળતા હોય તો ફળદુ સાહેબ કેમ વ્યવસ્થા ન કરાવી શકે?

ભાજપ નેતાની નિખાલસતા, ભલે મંત્રીને ખોટું લાગે પણ પ્રજાને જરૂર છે ત્યારે સવાલ તો પૂછવા પડે ને?

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક : હાલમાં કોરોના ના કહેર ને પરિણામે ક્યાંકને ક્યાંક આરોગ્યલક્ષી સુવિધાઓના અભાવે લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે ભાજપના નેતાઓની પીછેહઠ ને લઈને સોશિયલ મીડિયામાં પણ ઓડિયો વાયરલ થયા છે. જેમાં ભાજપના નેતાઓ હવે લોકોની પડખે ઊભા રહેવાને બદલે માત્ર ફોટોસેશન કરાવીને છૂમંતર થઈ જતા હોવાના પણ આરોપ લાગ્યા છે. તાજેતરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં કેબિનેટ મંત્રી આર.સી ફળદુ અને કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ની કામગીરી ની સરખામણી કરવામાં આવી છે.

વાયરલ ઓડિયોમાં જામનગરના ભાજપના નેતા અને નિવૃત્ત મામલદારની વાતચીત છે. જેમાં ભાજપના નેતા કાંતિ દુધાગરા અને નિવૃત્ત મામલતદાર પ્રવીણ માધાણી વચ્ચેની વાતચીતમાં ભાજપ નેતાએ કહ્યું કે, વેક્સિનેશન કાર્યક્રમો માટે આર.સી.ફળદુ માત્ર ફોટો જ પડાવે છે. કેબિનેટ મંત્રી થઈને એક કોવિડ સેંટરને ડોક્ટર પણ ન અપાવી શક્તા નથી.

ત્યારે નિવૃત મામલતદારે કહ્યું કે,  જયેશ રાદડિયાએ મેદાનમાં ઉતરીને બધી વ્યવસ્થા કરી પણ ફળદુ સાહેબ થી કાંઈ થયું નહીં. તો ભાજપના નેતા બોલ્યા કે, વેક્સિનેશન સેંટર પર વેક્સિન નથી, કોવિડ સેંટરમાં દવાઓ નથી તો જવાબ કોનો માગવો?. તેમના પોતાના જિલ્લામાં કોરોનાની સ્થિતિ સ્ફોટક છે પણ મંત્રી સાહેબ ફોટો પડાવીને જતા રહ્યાં. પ્રજાના કામ નહી કરનારા લોકોના પાપનો ઘડો ભરાઈ ગયો છે. નિવૃત મામલતદારે કહ્યું, આગામી ચૂંટણીમાં આ બધા મુદ્દાઓને લઈને આ નેતાઓનો જવાબ માગવાનો છે.