ઐતિહાસિક ઘડીએ નારી શક્તિને વંદન

ઐતિહાસિક ઘડીએ નારી શક્તિને વંદન

Mnf network : નવું સંસદ ભવન કાર્યરત થયાના પહેલા દિવસે મોદી સરકારે લોકસભામાં ઐતિહાસિક મહિલા અનામત ખરડો `નારી શક્તિ વંદન અધિનિયમ' (128મું સંવિધાન સંશોધન વિધેયક 2023) રજૂ કર્યો છે આ ખરડાથી લોકસભા અને વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે. ભારતીય સંસદમાં આજે પ્રસ્તુત ઐતિહાસિક મહિલા આરક્ષણ વિધેયકની વિસ્તૃત જાણકારી અનુસાર ચૂંટણી મતક્ષેત્રોનાં સીમાંકન બાદ જ તેને લાગુ કરવામાં આવશે.

તેનો અર્થ એવો થાય કે, જો આ વિધેયક અત્યારે સંસદમાં પસાર થઈ જાય તો પણ 2029ની લોકસભા ચૂંટણી પહેલા તે લાગુ કરવું અસંભવ રહેશે કારણ કે આ કાયદો ત્યારે જ લાગુ થાય જ્યારે સીમાંકન અને કાયદો ઘડાયા પછીની પહેલી જનગણના થઈ ગઈ હોય. ભારતમાં 2027 પહેલા વસ્તી ગણતરી થવાની પણ કોઈ શક્યતા નથી. મંગળવારે કેન્દ્રિય કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે વિપક્ષના હંગામા વચ્ચે શ્લોકનું પઠન કરી નારીશક્તિને વંદન કરીને ખરડો રજૂ કર્યો હતો.

મંત્રી મેઘવાલે કહયુ કે આ ખરડો મહિલા સશક્તિકરણ સાથે સંબંધિત છે. તે કાયદો બન્યા બાદ 543 સદસ્યોવાળી લોકસભામાં મહિલા સાંસદોની વર્તમાન સંખ્યા 82થી વધીને 181 થશે. ખરડો પસાર થયા બાદ વિધાનસભાઓમાં પણ મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત થઈ જશે. આ ખરડાની હાલ 1પ વર્ષ માટે જોગવાઈ કરવામાં આવી છે અને સંસદને તેને લંબાવવાનો અધિકાર હશે.

 મહિલા અનામત ખરડો રજૂ કરાયો છે પરંતુ તે સીમાંકન બાદ લાગૂ થશે જે જનગણના પર આધારિત હશે. 2024ની લોકસભા ચૂંટણી પહેલા જનગણના અને સીમાંકન લગભગ અસંભવ છે એટલે જો વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સમયસર યોજાઈ તો પણ લાગૂ નહીં થાય. 2029ની લોકસભા ચૂંટણી પહેલા કેટલીક વિધાનસભા ચૂંટણીઓમાં તેની અમલવારી થઈ શકે છે