Exclusive : પત્રકાર માંથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સુધી પહોંચેલ સી.આર.પાટીલની સફળતાનું શુ છે રહસ્ય ? જાણો

Exclusive :  પત્રકાર માંથી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સુધી પહોંચેલ સી.આર.પાટીલની સફળતાનું શુ છે રહસ્ય ? જાણો

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત :  ચંદ્રકાન્ત રઘુનાથ પાટીલને સુરત અને હવે સમગ્ર દેશ સી આર પાટીલ તેમજ નજીકના મિત્રો સીઆરના હુલામણા નામથી ઓળખે છે. સતત અને સખત પરિશ્રમ, પક્ષ માટે સદૈવ નિષ્ઠા અને વફાદારીથી કાર્ય કરતાં રહ્યાં, જેને કારણે શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા પૂર્ણ વિશ્વાસ સાથે જુલાઈ 2020થી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે. નવસારી લોકસભા વિસ્તારમાંથી સમગ્ર દેશમાં સૌથી વધુ 6,89,668 ઐતિહાસિક મતની સરસાઈથી જીતીને ત્રીજી વખત સંસદ પહોંચ્યા અને સંસદની અતિ મહત્વની એવી હાઉસિંગ કમિટીના અધ્યક્ષ તરીકે પણ આરૂઢ થયા.

એકદમ સામાન્ય પરિવારના રઘુનાથજી પાટીલ અને સરુબાઈ પાટીલને ત્યાં 16મી માર્ચ 1955ના રોજ મોસાળ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકરાઉત ખાતે સી આર પાટીલનો જન્મ થયો હતો. શાળાકીય શિક્ષણ દક્ષિણ ગુજરાતમાં વિવિધ સ્થળે મેળવ્યું હતું. છેલ્લે સુરતની આઈટીઆઈમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા. સરકારી નોકરી દરમિયાન નેતૃત્વ અને સંગઠનના વિશિષ્ટ ગુણના કારણે અનેક સંઘર્ષ અને તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. પોલીસ કર્મચારીઓનું કોઈ સંગઠન હતું નહીં. પોલીસની નોકરી કરતાં લોકોના પ્રશ્નો કોઈ ઉજાગર કરતું ન હતું. આ મુદ્દો લઈને સી આર પાટીલએ 1984માં પોલીસ કર્મચારીઓનું યુનિયન બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને સરકારને આ ગમ્યું નહીં અને સી આર પાટીલ સામે સસ્પેન્શનનો કોરડો વીંઝ્યો. પોતાના સહ-પોલીસકર્મીઓની ભલાઈ માટે અને તેમને થતાં અન્યાય સામે અવાજ ઉઠાવતાં સી આર પાટીલએ સરકારી નોકરી છોડી દીધી અને સંઘર્ષનો માર્ગ અપનાવી લીધો. એ ઘટના વખતે નેતૃત્વ અને સંગઠનના ગુણ પ્રથમ વખત સામે આવ્યા.

એ પછી જીવન સંઘર્ષ તો ચાલુ જ રહ્યો. સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ અને ગોવિંદા સમિતિની સ્થાપનામાં એમની ભૂમિકા પાયાના પથ્થરની છે. આ જ નહીં, આના જેવા અનેક પ્રકારના વ્યવસાયિક અને સામાજિક સંગઠનોની રચના અને સંચાલનની જવાબદારી નિભાવી ચુક્યા છે. સામાજિક કાર્યોમાં એ સદા અગ્રેસર રહ્યાં છે. વર્ષ 1991માં નવગુજરાત ટાઈમ્સ નામના દૈનિકની શરૂઆત કરી ત્યારે અખબારી જગતમાં અનેક કંપનો સર્જાયેલા. પત્રકારત્વની આગવી ભૂમિકા સાથે શરૂ થયેલા આ અખબારે અનેક પત્રકારોનું ઘડતર કર્યું. એવી જ રીતે ચેનલ આઈ વિટનેસનું નામ પણ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જાણીતું થયું.

જાહેર રાજકીય જીવનમાં 25 ડિસેમ્બર 1989માં ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનીને શરૂઆત કરી. એ પછી તો સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના કોષાધ્યક્ષ બન્યા અને પછી શહેરના ઉપપ્રમુખ પણ બન્યા. પક્ષના સભ્ય-હોદ્દેદાર તરીકે જે જવાબદારી આપવામાં આવી તે તમામનું અત્યંત સફળતાપૂર્વક વહન કર્યું અને એમાં જ એમની સંગઠન કરવાની કુશળતા, નેતૃત્વના સબળ ગુણ અને સક્ષમ આયોજન, ક્ષમતાઓ જોવા મળી. એક પણ ચૂંટણી લડ્યા વિના સી આર પાટીલની ગણના ચૂંટણીના વ્યૂરચનાકાર તરીકેની થવા લાગી જે આજે પણ અકબંધ છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે એમને પ્રથમ જી.આઈ.ડી.સી. અને પછી જી.એ.સી.એલ.ના અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપી હતી. જે એમણે કુશળતાપૂર્વક નિભાવી હતી. એ પછી સતત ભાજપના સંગઠનમાં શહેર અને પ્રદેશ કક્ષાની જવાબદારીઓ એમણે નિભાવી છે. લોકસભા, વિધાનસભા, મ્યુનિસીપલ કોર્પોરેશન, પંચાયત, તમામ ચૂંટણીમાં પક્ષને વધુ બેઠક અને મોટી લીડથી જીતાડવા માટે સફળતાપૂર્વકના પ્રયત્ન કર્યા છે.

વર્ષ 2009માં 15મી લોકસભા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવરચિત નવસારી લોકસભા બેઠક માટે સી આર પાટીલની ઉમેદવાર તરીકે પસંદગી કરી. જાહેર જીવનમાં 20 વર્ષ કાર્ય કર્યા પછી પ્રથમ વખત ચૂંટણી લડી અને એકદમ પ્રભાવી યશસ્વી રીતે વિજયને વર્યા. પ્રજાના સાંસદ તરીકેની એમની સક્રિયતા અને પ્રજાના મુદ્દે એમની લડતની નોંધ સમગ્ર દેશમાં પહોંચી. સાંસદ તરીકે સંસદમાં, પોતાના સંસદીય ક્ષેત્રમાં સતત કાર્ય અને સતત લોકસંપર્ક એ એમની ઓળખ બની રહી. સાંસદ બન્યા એ પહેલા કે હાલમાં પણ એમના 9, અંબાનગરના કાર્યાલયમાં કામ લઈને કે મદદ માટે આવેલ વ્યક્તિને ક્યારેય નિરાશ થવું પડ્યું નથી. સાંસદ તરીકે સી આર પાટીલએ એવા અનેક કાર્યો કર્યા જે એમના પહેલા સમગ્ર દેશમાં કોઈ સાંસદે નથી કર્યા. એક અત્યંત મહત્વનું ગણીએ તો સ્વતંત્ર ભારતમાં સાંસદની કચેરી આઈએસઓ સર્ટિફાઈડ હોય એવો વિચાર એમને જ આવ્યો અને અમલ પણ કર્યો.

આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 2014 અને 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પણ સી આર પાટીલની પસંદગી નવસારી માટે કરવામાં આવી અને એકપણ જાહેરસભા વિના, માત્ર લોકસંપર્ક દ્વારા સી આર પાટીલ 2014માં સૌથી વધુ લીડ મેળવનાર ઉમેદવાર તરીકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને નિવૃત્ત સેના અધ્યક્ષ જનરલ વી. કે. સિંહ પછી ત્રીજા નંબરે રહ્યા હતાં. એટલું જ નહીં, 2019માં દેશમાં સૌથી વધુ 6,89,668 મતની ઐતિહાસિક લીડથી વિજેતા બની અનેક નવા રેકોર્ડ બનાવ્યા છે.

વડાપ્રધાને સાંસદોને એક એક ગામ દત્તક લઈને વિક્સાવવાનું આહ્વાન કર્યું હતું. સી આર પાટીલએ નવસારીના ચીખલી ગામને દત્તક લીધું અને દેશમાં સૌથી ઝડપી આદર્શ ગામ બનાવી ચીખલીની કાયાપલટ કરી નાંખી. સાંસદ પોતાના મતદારના આંગણે પહોંચે એ માટે એમણે મોબાઈલ કચેરી શરૂ કરીને મતવિસ્તારના દરેક ગામ સુધી પહોંચવાની શરૂઆત કરી જેથી લોકોને અનેક સુવિધા ઉપલબ્ધ થઈ. સાંસદ તરીકેની બીજી અને ત્રીજી ટર્મમાં સરકાર પાસેથી સુરત અને નવસારીને લગતા અનેક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં એ સતત કાર્યરત રહી સફળ સાબિત થયા.

સાંસદ તરીકેની એમની ત્રણ ટર્મની લોકપ્રિયતા અને નવસારીને એક આદર્શ સંસદીય મતવિસ્તાર તરીકેની ઓળખ આપવામાં, ચૂંટણી સમયના અને સરકારી યોજનાઓના અમલીકરણ માટે કરેલા નવીન પ્રયોગોના કારણે જ એમની લોકચાહના સમગ્ર દેશમાં પહોંચી છે. આવા અનુભવો અને પ્રયોગોના સફળ અમલીકરણ સાથે જ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ કુશળ સંગઠનકર્તા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાના નિર્દેશથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી એમને સોંપવામાં આવી, જે સકુશળ નિભાવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ બનીને હવે ગુજરાતના કાર્યકરોને "Mission182"નું લક્ષ્ય આપ્યું છે.

સી આર પાટીલ સાંસદ , લોકસભા હાઉસિંગ કમિટીના અધ્યક્ષ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે તો એ અનેક જવાબદારી નિભાવે જ છે પરંતુ ત્રણ દીકરીઓ અને એક દીકરાના પિતા તેમજ શ્રીમતિ ગંગાબહેન પાટીલના પતિ તરીકે એક પરિવારને પણ એ એટલો જ સમય અને સ્નેહ ફાળવે છે. સતત વ્યસ્તતા વચ્ચે એ જાહેર જીવન અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવે છે.