ભાજપના ધારાસભ્યએ CM રૂપાણી સામે નારાજગી વ્યક્ત કરી, વાયરલ પત્રથી રાજકીય ખળભળાટ

ભાજપના ધારાસભ્યએ CM રૂપાણી સામે નારાજગી વ્યક્ત કરી, વાયરલ પત્રથી રાજકીય ખળભળાટ

મોર્નિંગ ન્યુઝ ફોકસ નેટવર્ક :  વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધારાસભ્ય કેતન ઈમાનદાર એ મુખ્યમંત્રીને પત્ર લખીને વડોદરામાં ગ્રામ્ય વિસ્તાર માટે કોરોનાની મહામારી સંદર્ભે જે નિર્ણય લેવાયો છે તેને લઈને નારાજગી વ્યક્ત કરી છે. અત્રે નોંધનીય છે કે કેતન ઈનામદારે ધારણ કરેલો ભાજપનો ભગવો ખેસ ભૂતકાળમાં ફગાવવાની તૈયારી દાખવી હતી. પરંતુ ભાજપના પ્રદેશકક્ષાના મોવડીઓની સમજાવટના અંતે તેઓએ કોઈ પગલુ ભર્યુ નહોતું. ગુજરાતમાં ભાજપની બોલબાલા અને જે તે સમયે ગુજરાતમાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા ત્યારે કેતન ઈનામદાર સાવલી બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. અને પાછળથી ભાજપમાં જોડાયા હતા.

કેતન ઈનામદારે લખી જણાવ્યુ છે કે, પહેલા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઓક્સિજનનો પુરવઠો આપવામાં આવતો હતો. હવે તે બંધ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં સાવલી અને ડેસર વિસ્તારમાં સેવાભાની સંસ્થાઓની મદદથી ઓક્સિજન સાથેના તૈયાર કરાયેલ બેડનું શુ કરવું ? પહેલેથીજ વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં ઓક્સિજન ઓછો અપાતો હતો. હવે બંધ કરવાની વાત છે. તેની સામે મારો વિરોધ છે. કેતન ઈનામદારે કહ્યુ છે કે ગંભીરતાપૂર્વક વિચારીને નિર્ણય લો. વડોદરા શહેર અને જિલ્લો એ ગુજરાતની મધ્યમાં આવેલો છે. વડોદરાની આજુબાજુમાં અનેક જિલ્લામાંથી દર્દીઓને વડોદરામાં સારવાર માટે લવાય છે. જેથી ઓક્સિજન નહી આપવાના નિર્ણયની ગંભીરથી અતિગંભીર અસર થશે.

ગુજરાતમાં હાલ એક તરફ કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને સામાજીક પ્રસંગો પણ ઉજવાઈ રહ્યાં છે. આ સંજોગોમાં કોરોનાનું સંક્રમણ વધવાની પૂરેપૂરી સંભાવના છે. આથી જરૂર પડે કોરોનાની ચેન તોડવા માટે લોકડાઉન લાદવાની જરૂર પડે તો લોકડાઉન કરવુ અથવા તેના જેવા અન્ય કોઈ પગલાં ભરવા પણ કેતન ઈનામદારે મુખ્યપ્રધાનને જણાવ્યુ છે.ઉપરાંત વડોદરા શહેર અને જિલ્લામાં કોવિડ સેન્ટર અને હોસ્પિટલ કાર્યરત છે. આ કોવિડ સેન્ટર અને હોસ્પિટલોમાં કોરોનાની ગંભીર અસર પામેલા દર્દીઓ દાખલ થાય છે. જેમને રેમડેસિવીર ઈન્જેકશન આપવુ જરૂરી છે. પણ રેમડેસિવીર ઈન્જેકશન મળતા નથી આથી દર્દીના પરિવારજનોને બ્લેકમાં પણ રેમડેસિવીર ઈન્જેકશન ખરીદવા પડે છે.