સુરત : આપ ના કોર્પોરેટરે સ્મિમેર ના કર્મચારીને લાફો ઝીકી દેતા નોધાઇ ફરિયાદ

સુરત : આપ ના કોર્પોરેટરે સ્મિમેર ના કર્મચારીને લાફો ઝીકી દેતા નોધાઇ ફરિયાદ

મોર્નિંગ ન્યુઝ ફોકસ, સુરત : થોડા દિવસ પૂર્વે આપ ના  વિપક્ષ નેતા અને સાથી કોર્પોરેટરો એ સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેરમાં  ચાલતી લાલિયાવાડી નો પર્દાફાશ કર્યો હતો.ત્યારે તાજેતરમાં આપ ના કોર્પોરેટર દ્વારા સ્મીમેરના કર્મચારીને લાફો ઝિકી દેવાની ઘટનાએ ચકચાર જગાવી છે.

સ્મીમેરમાં કોન્ટ્રાક્ટ કર્મચારીને બુધવારે બપોરે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયાએ તમાચો ચોડી દીધો હતો. કર્મચારીએ આ મામલે વરાછા પોલીસમાં ફરિયાદ કરી છે.જહાંગીરપુરા પરાગજી નગર સોસાયટી ખાતે રહેતો રાહુલ ચેતનભાઈ પટેલ(23) સ્મીમેર હોસ્પિટલમાં આઉટસોર્સ કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે. રાહુલે આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી છે.

ફરીયાદ અનુસાર બુધવારે રાહુલ તેની ફરજ પર હાજર હતો અને દર્દીઓને આયુષ્માન કાર્ડની માહિતી આપતો હતો. દરમ્યાન આપના કોર્પોરેટર વિપુલ સુહાગીયા ગુસ્સામાં ત્યાંપહોંચ્યા હતા અને ‘તુ મારા માણસનું કામ કેમ કરી આપતો નથી અને લાઈનમાં ઉભો રાખે છે’ એમ કહેતા રાહુલે તે કામ તેનું ન હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન વિપુલ સુહાગીયાએ તેને તમાચો ચોડી દીધો હતો. રાહુલને કાનામાં દુઃખાવો થતા તેણે સારવાર લીધી હતી અને આખરે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.